Huge gold deposit found on Gujarat border : હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ગુજરાતની સરહદે એટલે કે રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સ્થિત બાંસવાડા જિલ્લામાં એક વિશાળ સોનાની ખાણ મળી આવવાના સમાચારથી ભારતમાં દરેક લોકોને ખુશીનો કોઈ પાર રહ્યો નથી. વાસ્તવમાં અહીં મળી સોનાની ખાણ, અરવલ્લી પર્વતોની નજીકનું ભૂસ્તર આશરે 5,000 વર્ષ જૂનું, આ સ્થળે બનશે ખનિજ સમૃદ્ધિનું નવું કેન્દ્ર
વાસ્તવમાં ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI) દ્વારા કરાયેલા તાજેતરના સર્વેમાં સોનાની સાથે તાંબુ અને કોબાલ્ટ જેવી કિંમતી ધાતુઓના વિશાળ ભંડાર મળ્યા હોવાનું જણાયું છે. આ શોધને રાજસ્થાનમાં ખનિજ સંપત્તિના નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે.

આગામી સમયમાં ત્રણ કિલોમીટર વિસ્તારમાં ખોદકામની તૈયારીઓ
GSIના પ્રાથમિક અહેવાલ મુજબ, બાંસવાડાના કાંકરિયાગઢ બ્લોકમાં આવેલા ચાર ગામો કાંકરિયાગઢ, ડુંગરિયાપારા, દેલવારા રાવના અને દેલવારા લોકિયાના આશરે ત્રણ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં હજારો કિલોગ્રામ શુદ્ધ સોનાના ભંડાર હોવાનો અંદાજ છે. સરકારે અહીં ખોદકામ અને નમૂના સંગ્રહની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે 3 નવેમ્બર સુધીમાં ખાણકામ માટેની અરજીઓ આમંત્રિત કરી છે જેમાં સૌથી વધુ બોલી લગાવનાર કંપનીને એક્સપ્લોરેશન લાઇસન્સ આપવામાં આવશે.
અગાઉ કરેલા સર્વેમાં પણ મળ્યા હતા ધાતુઓના નિશાન
નોંધનીય છે કે, આ વિસ્તાર કઈં નવોદિત નથી. GSIએ લગભગ 5-6 વર્ષ પહેલાં પણ અહીં સર્વે કર્યો હતો, જેમાં 600 થી 700 ફૂટની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. તે સમયના નમૂનાઓમાં આશરે 1.20 ટન સોનું, 1000 ટન તાંબુ તેમજ થોડા પ્રમાણમાં કોબાલ્ટ અને નિકલ મળ્યા હતા. નવા સર્વેના આધારે નિષ્કર્ષણ અને ખાણકામની પ્રક્રિયા આગામી 2-3 વર્ષમાં શરૂ થવાની સંભાવના છે.
રાજસ્થાન છે ખનિજ ભંડારનો ખજાનો
રાજસ્થાનના ઘાટોલના ભુખિયા-જગપુરા વિસ્તારમાં અગાઉ પણ દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર મળી આવ્યો હતો જેમાં લગભગ 115 મિલિયન ટન ખનિજ, 14,000 ટન કોબાલ્ટ અને 11,000 ટન નિકલનો સમાવેશ થતો હતો. તે ખાણકામ હાલમાં રતલામની એક ખાનગી કંપની સંભાળી રહી છે.
શું છે અરવલ્લી પર્વતમાળાની ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતા
ભૂસ્તરશાસ્ત્રીઓ જણાવે છે કે, બાંસવાડા અરવલ્લી પર્વતોની નજીક હોવાથી અહીંનું ભૂસ્તર આશરે 5,000 વર્ષ જૂનું છે. સમયાંતરે થયેલા ભૂસ્તર પરિવર્તનના કારણે કિંમતી ધાતુઓ સપાટીની નજીક આવી ગઈ છે. તેથી અહીં સોનું, તાંબુ અને શક્ય છે કે, આરસ જેવા ખનિજો પણ મળી શકે. જો આ અનુમાન સાચું સાબિત થાય તો આ વિસ્તાર રાજસ્થાનના અર્થતંત્રને નવી દિશા આપી શકે છે.






